પાટણ તા. ૨૪
પાટણ શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહેવા પામ્યું છે ત્યારે શહેર ની શેઠ નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા તથા શેઠ એમ.એન. પ્રાથમિક શાળામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ નિમિતે પૂજા તથા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી નિમિતે શાળામાં સમૂહ પ્રાર્થનામાં શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓએ સાથે મળીને શ્રીમદ્ ભગવદ્ ગીતા પુસ્તકનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ગીતાનો પ્રખ્યાત શ્લોક યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે નું ઉચ્ચારણ કરવામાં આવતાં શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આજના બાળકો તથા આવનારી પેઢી આપણી સંસ્કૃતિનું સિંચન કરતી રહે એ હેતુથી શાળામાં આજે ગીતા જયંતી નિમિતે શાળાના બાળકો દ્વારા ગીતા પ્રેરણા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકે શ્લોકનું ઉચ્ચારણ કરીને અર્થ સાથે હિન્દીમાં બોલવાનું રાખેલ જેમાંથી પ્રથમ નંબરે બારોટ ધાર્મિક, દ્રિતિય નંબરે પ્રજાપતિ દિવ્યા અને તૃતીય નંબરે નવ્યા પટેલ આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને શાળા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા આશીર્વાદ સ્વરૂપે આપવામાં આવેલ તથા શાળાના વય-નિવૃત થયેલ છતાં
પોતાની કર્મ ભૂમિને સતત પોતાના શ્વાસમાં રાખતા તેમજ બાળકોને સતત માર્ગદર્શન આપતા એવા શિક્ષક રમીલાબેન પટેલ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિના આશીર્વાદ પ્રસાદ રૂપે શાળાના આશરે ૮૦૦ બાળકોને ફળ-ફળાદી આપવામાં આવી હતી.
આ પ્રસંગના અંતે શાળા ના આચાર્ય વસંતભાઈ પટેલે બાળકોને બોધ આપતા જણાવ્યું કે શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશ્વનો એક એવો ગ્રંથ છે જેની જયંતિ મનાવામાં આવે છે. ગીતા મનુષ્યનો પરીચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થએ કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. ગીતા અજ્ઞાન, દુખ, મોહ, ક્રોધ, કામ અને લોભ જેવી સાંસારીક વસ્તુંઓમાંથી મુકિતનો માર્ગ બતાવે છે. તેના અભ્યાસ, શ્રવણ, ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે.
અહેવાલ યશપાલ સ્વામી