વેપારીઓએ ફાફડા જલેબી અને ઉધીયુ બનાવવાની કામગીરી શરૂ કરી..
પાટણ તા. ૧૩
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉતરાણ પર્વ માં પતંગ દોરી ચકાવવાનો મહિમા દિવસેને દિવસે વધતો જાય છે.ત્યારે ઉતરાયણ પર્વમાં પતંગ દોરી ના પેચ લડાવવાની સાથે સાથે પતંગ રસિયાઓ જલેબી, ફાફડા અને ઊંધીયાની જયાફત પણ ખૂબ જ ઉત્સાહ પૂર્વક માણતા હોય છે .જેને લઈને પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા,જલેબી અને ઊંધીયાના સ્ટૉલ ગોઠવાઈ જાય છે.
ચાલુ વર્ષે ઘી, તેલ જેવી સામગ્રીના ભાવ વધવાના કારણે જલેબીના ભાવમાં રૂપિયા 20 થી લઈને 100 રૂપિયા જેટલો ભાવ વધારો થવાની શકયતાઓ વર્તાયેલી છે. આ વર્ષે ફાફડાનો રૂ.400 થી 480 નો ભાવ રહેવાની શક્યતા છે તો એક કિલો જલેબી ના ભાવ માં 60 રૂપિયા જેટલો ભાવ વધારો રહી શકે છે.
તો તેલ ની જલેબી ગત વર્ષ એક કિલો ના રૂ 180 હતા . તેની સામે ચાલુ વર્ષે 200 થી 240 ના ભાવ રહેશે . આમ એક કિલો તેલ ની જલેબીમાં 20 થી 40 રૂપિયા જેટલો ભાવ વધારો થઈ શકે છે.તો ઊધિયું એક કિલો ના 220 થી 240 જેટલો ભાવ રહેશે.તેમ વેપારી દિલીપ ભાઈ સુખડીયા અને મનુભાઈ ઠાકોરે જણાવ્યું હતું.
પાટણના આનંદગૃહ ના માલિક પ્રણવ રામી એ જણાવ્યું હતું કે ઉત્તરાયણ ના એકજ દિવસ માં પાટણ વાસીઓ અંદાજે 4 થી 5 હજાર કિલો ઊંધિયું અને 1000 થી 1500 કિલો જલેબી એમ લાખો રૂપિયા ના ફાફડા જલેબી અને ઊંધિયું આરોગી જશે તેમ જણાવ્યું હતું. હાલ માં ઊંધિયા બનાવવા માટે શાકભાજી સમારકામ સહિત જલેબી અને ફાફડા બનાવવાની તૈયારીઓ ચાલી રહેલી જોવા મળી હતી.
અહેવાલ યશપાલ સ્વામી