પાટણ આટૅસ કોલેજ ખાતે રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો..
પાટણ તા. ૯
પાટણ આર્ટ્સ કોલેજ ખાતે શનિવારે ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃત કથા સાહિત્ય પ્રાચીન ભારતની ધરોહર વિષય પર આયોજિત આ સંગોષ્ઠી કાર્યક્રમ મા પ્રાચીન ભારતની સંસ્કૃતની સમકાલીન પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યવસ્થિત વ્યાકરણ પાટણમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ ના આઠમા અધ્યાયમાં પ્રસ્તુત કર્યું હતું. પ્રાકૃત સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં કથાઓ ઉપલબ્ધ છે. જૈન આગમો, જાતક કથાઓ મનોરંજન સાથે ઉપદેશ પુરી પાડે છે. ભારતનું કથાસાહિત્ય વિશ્વપ્રસિદ્ધ છે. કથાઓ વાર્તા- કહાની વગેરે સ્વરૂપે સમગ્ર વિશ્વમાં અબાલવૃદ્ધ દરેકમાં લોકપ્રીય છે. બાળકનું પ્રથમ શિક્ષણ કથા થી શરૂ થાય છે.
બાળપણમાં સાંભળેલી કથાઓ જીવનભર યાદ રહે છે. આજે પણ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના જમાનામાં કથા એટલી જ લોકપ્રીય છે. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રની શરૂઆત પ્રાકૃત ભાષામાં વિવિધ જૈન,હિન્દુ,બૌદ્ધ અને મુસ્લિમ કવિએ રચેલી પ્રાર્થનાઓને ગ્રંથપાલ વલ્લરીબેને સ્વર બદ્ધ કરી હતી. કાર્યક્રમના સંયોજક ડૉ.કૃણાલ કપાસીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પ્રાકૃત કથા સાહિત્યને જાણે તે ઉદ્દેશ થી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જૈન મુનિ જંબૂવિજયજીના શિષ્ય પુંડ રિકરત્ન સૂરિ એ ભારતનો પ્રાચીન વારસાનો ઉપયોગ કરીને ભારતને ફરીથી સમૃદ્ધ બનાવવા માટે હાકલ કરી હતી.
સત્ર ના અધ્યક્ષ પ્રો. જય ધ્રુવે નવી શિક્ષણનીતિમાં પ્રાકૃત અંગે જોગવાઇનો ઉલ્લેખ કરીને તેના પ્રચાર પ્રસાર માટે સંસ્થા પ્રયત્ન શીલ છે અને રહેશે તેમ જણાવ્યું હતું. પ્રો.ડૉ.સલોની જોષીએ પ્રાકૃત કથા સાહિત્યના ઇતિહાસની રૂપરેખા આપીને તેમાં રહેલા સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક વગેરે અનેક પાસાઓની ચર્ચા કરી હતી. કાર્યક્રમ ના બીજા સેશનના વક્તા જયપુરના ડૉ. તારા ડાગા એ પ્રાકૃત સાહિત્ય માં ઉપલબ્ધ પર્યાવરણના વિચારો વર્તમાન સમયમાં પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું.
અન્ય વક્તા ડૉ.રવીન્દ્ર ખાંડવાલાએ પ્રાકૃત કથાસાહિત્યમાં વિશ્વની અનેક કથાઓના મૂળ હોવાનું જણાવ્યું હતું. હસ્તપ્રતવિદ્યાના યુવાવિદૂષી સુશ્રી માનસી ધારીવાલે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરની અ પ્રકાશિત કથાસાહિત્યનો પરિચય આપી તેમાં સંશોધનની વિપુલ તકો હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી 100 જેટલા શોધછાત્ર તેમજ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહિને શોધપત્રોનું વાંચન કર્યું હતું. કાર્યક્રમના સમાપન પ્રસંગના મહેમાન હેમ ચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરના ટ્રસ્ટી યતિનભાઇ શાહે વિદ્યાર્થીઓને હસ્તપ્રતોના શોધ સંશોધનમાં સહાયતા કરવા માટે દરેક પ્રકારનો સહકાર આપવાની ખાતરી આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી