રાધનપુર-સાંતલપુર વિસ્તારના ગામડાઓમાં લોકોએ સંકલ્પ પત્ર પર સહી કરી અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો..

પાટણ તા. ૨
લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 એ લોકશાહીનો અવસર છે. તેથી આ અવસરમાં સહભાગી થવું સૌની નૈતિક ફરજ છે. તા.07 મેં ના રોજ રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. તેથી મતદાનની પ્રક્રિયા પહેલાં લોકો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ પ્રવૃતિઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરીને તમામ કેટેગરીના મતદારોને મતદાન કરવા માટે પ્રેરીત કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નોના ભાગરૂપે જિલ્લા ના રાધનપુર અને સાંતલપુરના લો-ટર્ન આઉટ ધરાવતા મતદાન મથકોના નજીકના વિસ્તારોમાં લોકોએ સંકલ્પ પત્રો પર સહી કરીને લોકશાહીના અવસરમાં સહભાગી થવાનો સંકલ્પ કર્યો છે.

પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુરમાં કેટલાક ગામડાઓ લો ટર્ન આઉટ ધરાવતા વિસ્તારો છે. સરહદી વિસ્તાર હોવાથી અહીના રહીશો બહાર ગામ વસતા હોવાનું પણ માલુમ પડેલ છે, જેના કારણે આ વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઓછી જોવા મળતી હોય છે. તેથી જિલ્લા વહીવટીતંત્ર આવા વિસ્તારો પર વધારે ધ્યાન આપી રહ્યું છે. આવા વિસ્તારોમાં વસતા ગ્રામજનોને મતદાનનું મુલ્ય સમાજા વવા માં આવી રહ્યું છે. તેમજ મતદાનના દિવસે કોઈ પણ જાતનું કામ પડતુ મુકીને મતદાનને પ્રાધાન્ય આપવાની વાત કરવામાં આવી રહી છે.

સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત રાધનપુર અને સાંતલપુર તાલુકામાં લો- ટર્ન આઉટ ધરાવતા મતદાન મથકોના નજીકના વિસ્તારોમાં મહિલા મતદારો અને 85 વર્ષ કે તેથી વધુ ઉંમરના વયોવૃદ્ધ મતદારોને મતદાન માટે જાગૃત કરવાના ઉદેશ્યથી મતદાન કરવાના સંકલ્પ પત્ર વંચાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ મતદાન અવશ્ય કરવાનો સંકલ્પ કરીને સંકલ્પ પત્ર પર સહી કરી હતી. આમ આ રીતે છેવાડાના વિસ્તારો સુધી આ પ્રવૃતિ ચલાવવામાં આવી હતી. આશરે 800 જેટલા નાગરિકોએ મતદાન માટે સંકલ્પ પત્રો ભર્યા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.