આદિશક્તિ નવરાત્રી અનુષ્ઠાન હિમાલયના મહર્ષિ પૂજ્ય શ્રી શિવ કૃપાનંદ સ્વામીજી દ્વારા અનુષ્ઠાન સમાપન…
આઠ દિવસ દરમિયાન સામૂહિક ધ્યાન,શિબિર,આધ્યત્મિક ચર્ચાસત્ર, શિલા લેખન સહિત પ્રવૃત્તિમાં ભારત સહિત વિદેશના સાધકોએ લાભ લીધો..
પાટણ તા. ૨૪
ચૈત્રી નવરાત્રીના પાવન દિવસો દરમિયાન ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડીમાં આઠ દિવસીયઆદિશક્તિ નવરાત્રી અનુષ્ઠાન હિમાલય ના મહર્ષિ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સંપન્ન થયું. શ્રી આદિશક્તિ નવરાત્રી અનુષ્ઠાનનો મંગલ પ્રારંભ ગુડી પડવાના દિવસે પ્રાતઃ સાત વાગ્યાથી કરવામાં આવ્યો હતો. આ અનુષ્ઠાન આઠ દિવસ ચાલ્યું હતું . જેમાં પ્રથમ દિવસે બે કલાક બાદ દરેક દિવસે એક એક કલાક વધારતા, સમાપનના દિવસે સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ એમ 12 કલાકે અનુષ્ઠાન પૂર્ણ થયું હતું. આ રીતે આઠ દિવસમાં કુલ 48 કલાકનું અનુષ્ઠાન પૂજ્ય સ્વામીજી દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય સ્વામીજી એક વિશેષ સ્થાનમાં બેસીને અનુષ્ઠાન કરે છે અને આ ઊર્જાને ગાદીસ્થાનમાં સ્થાપિત કરી વિશ્વચક્ર સાથે જોડે છે. જમીનથી ૧૫ થી ૨૦ ફૂટ જેટલું ઊંડું આ સ્થાન હોય છે જેમાં ગુરુ દ્વારા ચૈતન્ય પ્રવાહિત કરી એક પ્રક્રિયા દ્વારા ઊર્જા સ્થાપિત કરવામાં આવે છે. અનુષ્ઠાન પૂર્ણ થતાં રામનવમીના પાવન દિવસે 18 કુંડીય યજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ અવસરે ૧૦૦ થી વધુ યજમાનો યજ્ઞમાં સામેલ થયા હતા.
પ્રથમ દિવસે શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના ડિરેક્ટર મહેશભાઈ પટેલ અને ગુજરાત સમર્પણ આશ્રમ ના વ્યવસ્થાપક કલ્પેશભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરરોજ સવારે સાત થી આઠ સામૂહિક ધ્યાન સાધના તથા નવ વાગ્યાથી શિબિર અને ભોજન બાદ બીજા સત્રમાં દરરોજ બપોરે 30 મિનિટ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી રચિત હિમાલયનો સમર્પણ ધ્યાનયોગ ગ્રંથનું પઠન કરવામાં આવતું હતું.
બપોરે ચાર થી છ દરમ્યાન નિષ્ણાતો દ્વારા આધ્યાત્મિક સત્ર લેવામાં આવતાં હતાં. જેમાં ડો.હેતલબેન પટેલ દ્વારા ગર્ભાધાન સંસ્કાર, મોહિતભાઈ કાચા દ્વારા વૈચારિક પ્રદૂષણ, ધર્મેશભાઈ શાહ દ્વારા મંગલમૂર્તિ સ્થાન અને ગાદીસ્થાન, બિહાગભાઈ લાલાજી દ્વારા આત્મદેવો ભવ તેમજ જીતેન્દ્રભાઈ પટવારી દ્વારા ચક્રસંવાદ જેવા વિષયો પર જાણકારી આપવામાં આવી હતી. દરરોજ સાંજે ફરીથી છ થી સાત દરમિયાન સામૂહિક ધ્યાન સાધના કરવામાં આવતી હતી. સમગ્ર ભારતમાંથી આવેલા 500 થી વધુ સાધકો દરરોજ અનુષ્ઠાનનો લાભ લેતા હતા. અનેક વિદેશી સાધકો પણ આ અનુષ્ઠાનમાં જોડાયા હતા.
નવનિર્મિત શ્રી ગુરુ શક્તિ ધામ માં ઉપયોગમાં લેવામાં આવનાર શિલા પર જય બાબા સ્વામી મંત્રના લેખન નો દરેક સાધકોએ આનંદ ઉઠાવ્યો હતો. રવિવારના દિવસે 3,000 થી વધુ સાધકો ઉપસ્થિત રહી ધ્યાન સાધનામાં જોડાયા હતા. ગુજરાત સમર્પણ આશ્રમ મહુડીમાં વિશ્વચક્ર સ્થાપના અનુષ્ઠાન અત્યંત ચૈતન્યપૂર્ણ અને ભાવપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું. આ સમગ્ર આયોજનમાં ગુજરાત સમર્પણ આશ્રમ વતી અનેક પદાધિકારીઓ અને સાધકો ખૂબ સુંદર સેવા આપવામાં આવી હતી. ઓનલાઈન પણ આ અનુષ્ઠાનના વિશેષ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનો દેશવિદેશમાં વસતા સાધકો એ લાભ લીધો હતો.
અહેવાલ યશપાલ શ્યામી