ટ્રાફિકમાં દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ફસાતા દર્દીના પરિવારજનોના જીવ પડી કે બંધાયા..
ટીઆરબી ના જવાનો અને પોલીસ કર્મીઓએ ભારે જહેમત બાદ ટ્રાફિક મા ફસાયેલી એમ્બ્યુલન્સ ને બહાર કાઢી…
પાટણ તા. 21
પાટણ ના સિધ્ધપુર હાઈવે ચાર રસ્તા ઉપર સજૉતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો હોવા છતાં આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા જૈસે થે ની હાલતમાં સર્જાતી અવાર નવાર જોવા મળતી હોય છે. શનિવારના રોજ આ હાઇવે માર્ગ પર બ્રિજની સાઈડના ઇન્ટિરિયર માર્ગ પર રિલાયન્સ પેટ્રોલ પંપ થી નવજીવન તરફ જવાના રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ટ્રાફિક વચ્ચે ઇમર્જન્સી સારવાર માટે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ફસાઈ જતા દર્દીના પરિવારજનોના જીવ પડી કે બંધાયા હતા. ત્યારે આ ટ્રાફિક સમસ્યાને નિવારવા હાઈવે પરના ટી આર બી ના જવાનો અને પોલીસ કર્મીઓએ ભારે જહેમત ઉઠાવી મહા મુસીબતે ટ્રાફિક હળવો કરી ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સ ને બહાર કાઢવામાં આવતા દર્દીના પરિવારજનો એ હાશકારો અનુભવ્યો હતો.
પાટણના સિદ્ધપુર ચાર રસ્તા પર બનાવાયેલા બ્રિજની સાઈડના ઇન્ટિરિયર માર્ગોની હાલમાં કામગીરી ચાલતી હોય જેના કારણે અવાર નવાર આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે તંત્ર દ્વારા આ ઇન્ટિરિયર માર્ગનું ઝડપી કામ પૂર્ણ થાય તે માટે માર્ગની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરોને સૂચિત કરવામાં આવે તેવી માંગ લોકો મા ઉઠવા પામી છે.