બોરસણ, ખીમિયાણા અને મહેમદપુર શાળાના ઉચ્ચ શિક્ષકો ને નોટિસ પાઠવાતા શિક્ષણ આલમમાં સનસનાટી મચી…
પાટણ તા. 15
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજિત એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાની કામગીરીની અવગણના કરવા બદલ પાટણ ડીઈઓના માર્ગદર્શન હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાટણ દ્વારા તાલુકાની બોરસણ, ખીમિયાણા અને મહેમદપુર ની ત્રણ શાળાના ઉચ્ચ શિક્ષકોને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવતા શિક્ષણ આલમમાં સનસનાટી મચી જવા પામી છે.
નોટિસ મામલે શિક્ષણ વિભાગના આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળેલી પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન ખંડ નિરીક્ષક તરીકેની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ પાટણ એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલના સ્થળ સંચાલકના પત્ર અન્વયે બોરસણ પ્રાથમિક શાળા ના ઉચ્ચ શિક્ષક ભાવનાબેન રાધેશ્યામ રાવલ, ખીમિયાણા પ્રાથમિક શાળાના ઉચ્ચ
શિક્ષક પરેશકુમાર ડાહ્યાલાલ પટેલ અને મહેમદપુર પ્રાથમિક શાળાના ઉચ્ચ શિક્ષક શ્રીમતી યોગીતાબેન પ્રહલાદભાઈ પટેલને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બોર્ડની પરીક્ષાની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
પાટણની એકસપરીમેન્ટલ હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં ખંડ નિરીક્ષક તરીકેની કામગીરીમાં જવા માટે ઉપરોક્ત શાળા ના શિક્ષકોને આદેશ કરેલ જેથી સંસ્થા દ્વારા તેઓનો સંપર્ક કરતા ઉપરોક્ત શિક્ષકો એ કામગીરી કરવાની ના પાડેલ તો શાળા દ્રારા પણ શિક્ષકોને ફોન અને મેસેજ કરી ફરજ બાબતે જાણ કરવામાં આવી હોવા છતાં તેઓ ફરજ પર નહીં આવ્યા હોવાનો ઉલ્લેખનોટિસમાં કરવામાં આવ્યો છે ત્યારે ઉપરોક્ત ત્રણેય શાળા ના શિક્ષકો પોતાને સોપેલ પાટણ પીપીજી એક્સપરિમેન્ટલ પરની ફરજ પર હાજર થયેલ નથી કે અન્ય વ્યવસ્થા પણ કરેલ નથી, જેથી ફરજો બજાવવામાં ઉદાસીનતા સાથે શિક્ષક તરીકેની પોતાની ફરજો બજાવવામાં બેદરકારી દાખવેલ હોઇ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૭ ના નિયમ-૭૦ ની ફરજો બજાવવામાં ચૂક કરવા બદલ ગુજરાત પંચાયત સેવા ( શિસ્ત અને અપીલ) નિયમો – ૧૯૯૭ના નિયમ-૦૬ મુજબની કાર્યવાહી કરવા દરખાસ્ત શા માટે ન કરવી ? તેવી કારણ દર્શક નોટિસ આપીને સદર ત્રણ શિક્ષકો કંઈ કહેવા માગતા હોય તો દિન ૭ માં લેખિત ખુલાસો રજૂ કરવા જણાવાયું છે જો શિક્ષકો દ્વારા નોટિસ નો પ્રત્યુતર આપવામાં નહિ આવે તો તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવો ઉલ્લેખ નોટીસમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાટણની ત્રણ શાળાના શિક્ષકો ને ફરજ પ્રત્યે ની બેદરકારી બદલ પાઠવવામાં આવેલ કારણ દશૅક નોટિસનો મામલો હાલ શિક્ષણ આલમમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.