ગણેશ વાડી ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવો પણ ઉજવવામાં આવશે..
પાટણ તા. 19 પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ચતુર્થી ના પાવન પર્વની મંગળવારથી ગણેશ મહોત્સવો ની ભક્તિ સભર માહોલ મા શરૂઆત કરવામાં આવી છે.પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા ગણેશવાડીમાં પણ પરંપરા મુજબ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે ઉત્સવ અનંત ચતુર્થી સુધી ભક્તિસભર માહોલમાં ઉજવાશે.
ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ઉત્સવના પ્રારંભે મહારાષ્ટ્ર પરિવારોએ પરંપરાગત પોતાના ટ્રેડિશનલ પહેરવેશ માં ગણેશજીની મૂર્તિ લેવા માટે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે વરસતા વરસાદમાં તાપડું ઢાંકીને વાજતે ગાજતે નીકળ્યા હતા.આ પાલખી યાત્રા ભદ્ર વિસ્તાર માં થઈ ગજાનંદ વાડી ખાતે આવી પહોંચતા મહારાષ્ટ્રીયન પરિવારની મહિલાઓ સહિતના શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ભગવાન શ્રીજીની મૂર્તિને વિધિ વિધાન પૂર્વક વધાવવામાં આવી હતી.
ત્યારબાદ ગણેશજીની મૂર્તિનું બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે સ્થાપન કરી ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારના સભ્યો સહિતના ગણેશ ભકતો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ વાડીમાં માટીની મૂર્તિ સ્થાપિત કરીને મહોત્સવની શરૂઆત કરવામાં આવે છે ચાલુ સાલે ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી, જ્યેષ્ઠા ગૌરી આહવાન, પૂજન અને વિસર્જન, નવમી, દશમી, પરિવર્તની એકાદશી, શનિ પ્રદોષ, અનંત ચતુર્દશી, સત્યનારાયણ ભગવાનની પૂજા જેવા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હોવાનુંશ્રી ગજાનન મંડળીના રાજુભાઇ દેવધરે જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ મહોત્સવનું વિશેષ મહત્વ એ છે કે, વર્ષોથી ભગવાન ગણેશની મૂર્તિ કાળી માટી માંથી બનાવવામાં આવે છે.જે એક કદ અને એક આકાર ની મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિના વિસર્જન સમયે મૂર્તિ માંથી થોડી માટી લઈ તે માટીનો ઉપયોગ બીજા વર્ષે બનનારી મૂર્તિમાં ઉપયોગ માં લેવાય છે. એટલે વર્ષો પૂર્વે બનાવેલ મૂર્તિનો અંશ આજે પણ આ મૂર્તિમાં જોવા મળતો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી