પાટણ તા. 3 “એક તારીખ એક કલાક” ના સુત્ર સાથે પાટણ જીલ્લાના તમામ ગામોમાં મહાશ્રમદાન કરવામાં આવ્યું હતું. આ વિશાળ મહાશ્રમદાનમાં દરેક ગામના તમામ ગ્રામજનો, અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, સખીમંડળની બહેનો, યુવા વર્ગ અને અન્ય ધાર્મિક અને સામાજિક સસ્થાઓએ સાથે રહી આ મહાશ્રમ દાનને સફળ બનાવવા માટે મોટું યોગદાન આપ્યું હતું. આ મહાશ્રમદાનમાં તમામ ગામોમાં જેવા કે, જાહેર રસ્તાઓ, રેલવે ટ્રેક, બસ સ્ટેન્ડ, જળાશયો, પર્યટન સ્થળો, ધાર્મિક સ્થળો, શાળા, આંગણવાડી, પંચાયત ઘર, જાહેર આરોગ્ય કેન્દ્ર વિગેરે જેવા જાહેર સ્થળોની મહાશ્રમદાન થકી સફાઈ કરવામાં આવી હતી.
સિધ્ધપુર તાલુકાના ખળી ગામમાં મહાશ્રમદાનમાં જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલંકી પણ જોડાયા હતા. એક કલાક ખળી ગામની જાહેર જગ્યાઓ પર સફાઈ કરવા ગામ લોકોની સાથે જિલ્લા વિકાસ અધિકારીએ પણ હાથમાં ઝાડુ પકડીને ગામની સફાઈ કરી હતી અને ગામલોકોને સફાઈ અંગે સંદેશો આપતા જણાવ્યું હતું કે, જે જગ્યાની સફાઈ કરવામાં આવેલ છે તે જગ્યા પર ફરી ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવું. સફાઈ બાદ એકત્રિત કરેલ કચરાને નક્કી કરેલ રૂટ પ્રમાણે સેગ્રીગેશન શેડમાં લઈ જવામાં આવેલ હતો. સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે મહાશ્રમદાનમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ પણ હાથમાં ઝાડું પકડીને ગામ લોકો સાથે સફાઈની કામગીરીમાં ભાગીદાર થયા હતા. સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી ગામના વિવિધ જાહેર રસ્તાઓની સફાઈ કરી હતી. તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ, અન્ય જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સાથે સમી તાલુકાના અનવરપુરા ગામે મહાશ્રમદાનમાં ગામ લોકો સાથે સહભાગી થઇ સફાઈ કરવામાં આવી હતી.
સ્થાનિક જન પ્રતિનિધીઓની અગેવાનીઓ હેઠળ મહત્તમ લોકોની ભાગીદારીથી “એક તારીખ એક કલાક” ના સુત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટણ જિલ્લામાં કુલ-522 ગામોમાં મહાશ્રમદાન કરવામાં આવ્યું. આ મહા શ્રમદાનમાં કુલ-38289 લોકોએ સહભાગીદાર થયા અને કુલ-538 વિવિધ જગ્યાઓની સફાઈ કરવામાં આવી, તેમજ આ મહાશ્રમદાનમાં કુલ-16605 કિલો કચરાનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું અને આ કચરાને સેગ્રીગેશન શેડમાં લઈ જવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધીજીના “સ્વચ્છ ભારત” ના ઉદ્દેશને સાકાર કરવા પાટણ જિલ્લાના તમામ ગામોના લોકોએ મહાશ્રમદાન અભિયાનમાં “એક કલાક” આપી શ્રમદાન કર્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી