અકસ્માતને અંજામ આપનાર અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થયો..
મોડી રાત્રે બનેલી ઘટનાના પગલે હાઇવેમાર્ગ પદયાત્રીઓની ચિચિયારીઓથી ગુજયો..
પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતકોની લાશોને પીએમ માટે હારીજ અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર ખસેડ્યા. .
પાટણ તા. ૧૫
પાટણ-હારીજ-ચાણસ્મા હાઇવે પર દાંતરવાડા નજીક થી બુધવારની મોડી રાત્રે પસાર થઇ રહેલ અંબાલા થી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે જવા માતાજીની માંડવી સાથે નિકળેલ પદયાત્રીઓને માર્ગ પરથી પૂર ઝડપે અને ગફલતભરી નીકળેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા ત્રણ પદયાત્રીઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજયા હોવાની સાથે ચારથી વધુ પદયાત્રીઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાની ઘટના ને લઇ સનસનાટી મચી જવા પામી હતી.
આ અકસ્માતની ઘટનાની મળતી હકીકત મુજબ અંબાલા ગામના ઠાકોર પરિવારનો સંઘ માતાજીની માંડવી લઈને વરાણા ખોડીયાર માતાએ જવા પ્રસ્થાન પામ્યો હતો. જે પદયાત્રા સંઘ માતાજીની માંડવી સાથે બુધવારની રાત્રે પાટણ-હારીજ- ચાણસ્મા હાઇવે માર્ગ પર દાતરડાં ગામ નજીકથી ભક્તિ સભર માહોલમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે માર્ગ પરથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે નીકળેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે માતાજીની માંડવી સાથે પદયાત્રીઓને અડફેટમા લેતા માતાજીની ભક્તિનો માહોલ પદયાત્રીઓની ચિચિયારીઓથી ગુજી ઉઠયો હતો.
બુધવારની મોડી રાત્રે બનેલા આ હિટ એન્ડ રન ની ઘટના મા ત્રણ પદયાત્રી ઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં તો ચારથી વધુ પદયાત્રીઓને ગંભીર ઈજા પહોચી હતી જ્યારે માતાજીની માંડવી અજાણ્યા વાહનની ટકરે રોડ સાઈડની ચોકડીમાં જઈને પડી હતી. તો અકસ્માત સજૅનાર અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થતા અને બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતક લાશોના પંચનામા કરી પીએમ અર્થે હારીજ હોસ્પિટલમાં મોકલી આપી ઇજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બુધવારની મોડી રાત્રે દાંતરવાડા પાસે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓને હડફેટે લીધા હોવાની ઘટના ને લઇ સ્થળ પર લોકો ના ટોળા એકત્ર થયા હતાં અને અકસ્માત ને અંજામ આપી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો પોલીસ દ્વારા અકસ્માત કરી ફરાર થયેલ અજાણ્યા વાહન ને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ હતા.
અંબાલા ગામથી વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે પગપાળા જતા ઠાકોર પરિવારને નડેલા અકસ્માત માં મૃત પામેલ પદયાત્રીઓમા પૂજાબેન જયરામજી ઠાકોર ઉંમર વર્ષ 20, રોશનીબેન જગાજી ઠાકોર ઉંમર વર્ષ 16, અને શારદાબેન કડવાજી ઠાકોર ઉંમર વર્ષ 62 હોવાનું જ્યારે ઇજાગ્રસ્તોમાં મહેન્દ્ર ભાઈ ઠાકોર ઉંમર વર્ષ 25, રાહુલ મગનજી ઠાકોર ઉંમર વર્ષ 18, નિલેશ પ્રભાતભાઈ ઠાકોર ઉંમર વર્ષ 13, સવિતાબેન નાગજીજી ઠાકોર ઉંમર વર્ષ 45 અને સંદીપભાઈ માનસિંગભાઈ ઠાકોર ઉંમર વર્ષ 18 હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી