કૃષિ યુનિવર્સિટીના માધ્યમથી એરંડા નું ગુણવત્તા યુક્ત ઉત્પાદન પ્રાપ્ત થાય તેવા પ્રયાસ જરૂરી : કેન્દ્રીય મંત્રી…
પાટણ તા. ૧૨
પાટણ APMC હોલ ખાતે મંગળવારે કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહજીની ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, સામાજિક આગેવાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂત સંમેલનને સંબોધીત કરતાં કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વાત કરતાં અને અન્ય પાર્ટીઓ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી દેશને વિશ્વ ગુરુ બનાવવા માટે આવ્યા છે, જ્યારે અન્ય પાર્ટીઓમાં પરિવારવાદ ચાલે છે.
જે એમના સંતાનો કે સગા સંબંધીઓને જ સત્તા સોંપવા માથામણ કરે છે તેમ જણાવી કહ્યુ હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સંત છે, એ દેશને વિશ્વ ગુરુ બનાવવા માટે આવ્યા છે, દેશને સમર્થ બનાવવા આવ્યા છે. અન્ય રાજકીય પક્ષો ના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગમેતેમ બોલે છે, ગાળો બોલે છે. આ એ લોકો છે જે પરિવારવાદ ચલાવે છે.
કેન્દ્રીય મંત્રી ગીરી રાજ સિંહજી એ કહ્યું કે, ગાંધી પરિવાર માં પોતાના પરિવાર સિવાય કોઇ બીજુ આગળ નથી આવતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ હતા, જેમણે એમના દીકરાને મુખ્યમંત્રી બનાવ્યા. બિહાર માં લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા, જેમણે એમના પત્નીને મુખ્યમંત્રી અને દીકરાને ઉપ મુખ્ય મંત્રી બનાવ્યા હતા. મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરે એમના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માથામણ કરતા હતા, જ્યારે શરદ પવાર એમની દીકરીને સત્તા સોંપવા માંગતા હતા.
આ તરફ મમતા બેનર્જી એમના ભત્રીજાના હાથમાં સત્તાનું સુકાન સોંપવા માંગે છે. જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એક એવા સંત છે કે જેમના એકાઉન્ટમાં એક રૂપિયો નથી, એમના નામે ગાડી નથી, એમના નામે કોઇ જમીન નથી. એ ફકિર આદમી છે, સમય આવ્યે ઝોળી લઇને નીકળી જશે.
ખેડૂત સંમેલનમાં ખેતી વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહજીએ જણાવ્યું કે, પાટણમાં એરંડા બહુ થાય છે, પરંતુ મને જાણવા મળ્યું છે કે તેલ ઓછું હોય છે.
આ દિશામાં કૃષિ યુનિવર્સિટીની મદદ લઈને ઉચ્ચકક્ષાની ઉપજ થઈ શકે માટે સંશોધન થવા જોઈએ તેમ જણાવી આગામી લોકસભાની ચૂંટણીમાં પાટણ સહિત સમગ્ર ગુજરાતની બેઠકો પર ભાજપના કમળ ને વિજય બનાવી પુનઃ નરેન્દ્ર મોદી ને પ્રધાનમંત્રી નું સુકાન સોપવા તેઓએ આહવાન કર્યું હતું. પાટણ એપી એમ સી હોલ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ જી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ બેન ઠાકોર, નૌકાબેન પ્રજાપતિ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, નદાજી ઠાકોર, એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ, શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, મોહનલાલ પટેલ, સુરેશભાઈ પટેલ, મહામંત્રી ભાવેશ પટેલ સહિત ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી