LIC મા આવતાં ટીમના સભ્યો દ્વારા કોલેજ સંચાલકો પાસે કવર માગતાં હોવાના આક્ષેપ થતાં સૌ સ્તબ્ધ બન્યાં..
પાટણ તા. ૨૦
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલક મંડળે ગુરૂવાર ના રોજ કુલપતિ સમક્ષ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના 6 જેટલા પ્રશ્નોની રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. તો એક સંચાલકે જાહેરમાંજ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી LIC ટીમમાં આવનાર સભ્યો કવર માંગવા આવતા હોવાનો આક્ષેપ કરતાં કુલપતિ સહિત ના સૌ ઘડીભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ અભ્યાસક્રમો ચલાવતા સંચાલક મંડળના સંચાલકો દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ને ગુરૂવારે રૂબરૂ મળી આપેલ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રતિ વર્ષે કોલેજો પાસેથી ચાલુ જોડાણની ફી રૂ 32,500 વસુલવામાં આવે છે. ભુતકાળમાં યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી કોલેજોની સંખ્યા ઓછી હતી જેથી વધારા ના ખર્ચને પહોંચી વળવા યુનિવર્સિટી આટલી રકમ લેતી હશે તેવું અમારૂ માનવું છે.
પરંતુ હાલમાં 600 કરતા વધુ સેલ્ફ ફાયનાન્સ કોલેજો હોવાથી તથા સ્થાનિક તપાસ સમિતિના સભ્યોને ચૂકવવામાં આવતી રકમ કોલેજો દ્વારા ચૂકવવામાં આવતી હોઇ, અમારી પાસેથી પ્રતિ વર્ષે ચાલુ જોડાણ પેટે લેવામાં આવતી ફી રૂા.10,000 થી વધુ ન વસુલવી.તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રતિ વર્ષે સેલ્ફ ફાયનાન્સ કોલેજો પાસેથી લીગલ ફી પેટે રૂા.4000 ફી વસુલવામાં આવે છે.
જયારે ગ્રાન્ટેબલ કે ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો પાસેથી આવી કોઇ રકમ વસુલવામાં આવતી નથી. અમારી જાણ મુજબ યુનિવર્સિટીને જે લીગલ ફી નો ખર્ચ થાય છે. તે પૈકી સેલ્ફ ફાયનાન્સ કોલેજો પાછળ ખાસ ખર્ચ થતો નથી. તો આ ફી રદ્દ કરવા માંગ કરી હતી. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસે રમત ગમત તથા કલ્ચર ફી પેટે રૂા.60 રૂ વસુલવામાં આવે છે. ભૂતકાળમાં જે રકમ રૂા.30 હતી તથા હાલમાં યુનિવર્સિટી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે તથા યુનિવર્સિટી દ્વારા સ્વભંડોળ તથા સરકારી ગ્રાન્ટ માંથી યુનિવર્સિટી કેમ્પસ ખાતે પુરતી ભૌતિક સુવિધા ઉભી કરવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓ પાસેથી ઉધરાવવામાં આવતી ફી માંથી સંગોષ્ઠી જેવા કાર્યક્રમના બહાને ગુજરાત બહાર માઉન્ટ આબુ, નાથ દ્વાર તથા ઉદયપુર જેવી જગ્યાઓમાં સરકારની મંજુરી વગર કાર્યક્રમો કરવામાં આવે છે તથા અપેક્ષિત ન હોય તેવા હાજર બધા જ લોકોને ગીફટ આપી વિદ્યાર્થીઓના રૂપિયે જલસા કરવામાં આવતા હોવાના સંચાલક મંડળે આક્ષેપ કર્યા હતા.
આ ફી માંથી કરવામાં આવતા વિવિધ ખર્ચાઓ તથા મહેનતાણું તથા અન્ય આનુસંગીક ખર્ચ રાજય સરકાર દ્વારા મંજુર કરેલ ખર્ચ કરતા વધુ હોય છે. યુનિવર્સિટીનો કોઇપણ સત્તામંડળ રાજય સરકાર દ્વારા મંજુર કરેલ રકમ કરતા વધુ રકમ મંજુર કરી શકે નહિ. જેથી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવતી ફી રદ્દ કરવી તેમ જણાવ્યું છે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવીન અભ્યાસક્રમના જોડાણ માટે જાહેરાત આપવામાં આવતી નથી અને પાછળથી રૂા.4,52,000 જોડાણ ફી લઇ કોલેજ મંજુર કરવામાં આવે છે.
તો નવીન અભ્યાસક્રમ તથા વિષય વધારાના જોડાણ માટે જાહેરાત આપવી તથા નિયમ મુજબ ફી મંજુર કરી રકમ વસુલવી. સહિત યુનિવર્સિટી દ્વારા ચાલુ કોલેજ બંધ કરાવવા માટેની ફી રૂા.2,00,000 છે જે ખૂબ જ વધારે હોઇ તે દૂર કરવી.તેમ જણાવ્યું હતું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમ ચલાવતી કોલેજો દ્વારા ડીવીઝન વધારો અથવા સંખ્યા વધારો માંગવામાં આવે છે ત્યારે ડીવીઝન દીઠ ફી તથા વિદ્યાર્થી સંખ્યા દીઠ ફી લેવામાં આવે છે. જે વિદ્યાર્થી હીત વિરૂધ્ધની હોઇ જે રદ્દ કરવી એમ સંચાલકોએ કુલપતિ ને આપેલા આવેદનપત્ર માં જણાવ્યું છે.
આમ હાલમાં ગુજરાત કોમન એકટ 2023 અમલમાં હોઇ, અગાઉના તમામ સત્તામંડળો દ્વારા રજૂઆત લગત કરેલા તમામ ઠરાવો રદ્દબાતલ ગણાય.વધુમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટી હોઇ, સંલગ્ન કોલેજો પાસેથી મનધડત ફી વસુલવા અંગેના ઠરાવો કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ હોઇ, સત્તાના જોરે સત્તામંડળો કરી શકે નહિ. અમારી રજૂઆત ધ્યાને લઇ યોગ્ય નિર્ણય કરવા કુલપતિ ને રજૂઆત કરવામાં આવી હતી.
સંચાલક મંડળની રજુઆત પગલે કુલપતિ એ જણાવ્યું હતું કે આજે વિવિધ સંચાલક મંડળના સભ્યો એ જુદા જુદા પ્રશ્નો ની રજુઆત કરી છે. ફી નું ધોરણ વધારે હશે તો બાકી ની યુનિવર્સિટી છે તેમાં તપાસ કરી લઈશું અત્યારે કોમન એકટ છે. કદાચ સરકાર વિચારે આટલી ફી લેવી કોમન એકટ રુલ્સ મુજબ યુનિવ ર્સિટી ફોલો કરવાની રહેશે. સ્ટેચ્યુ અને ઓર્ડિનન્સ આવ્યા નથી આવી કોઈ સૂચના પણ આવી નથી . તો જુદી જુદી યુનિવર્સિટી ફી લે છે. તેનો અભ્યાસ કરી હાલ ની શુ સ્થિતિ છે તેનું એનાલિસિસ કરાવી ફી નું ધોરણ વધારવુ કે ઘટાડવું એ દિશા માં વિચારીશું હવે નવું સત્ર ચાલુ થઈ ગયું છે. પ્રક્રિયા પણ પર્ણ થઈ ગઈ છે આગામી સમય માં રજૂઆત ધ્યાને લઇ વિચારીશું તેમ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી