પાટણ તા. ૨૬
ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે 26 જુલાઈ ના રોજ વિજય કારગિલ દિવસ નિમિત્તે શહીદોને યાદ કરવામાં આવે છે અને સૈનિકોની વીરતા અને પરાક્રમના આ દિવસને બિરદાવાના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે શુક્રવારે પાટણ એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલની સવિશેષ ઉપસ્થિતિમાં કારગીલ વિજય દિવસથી ઉજવણી કરવામાં આવી હતી. કારગીલ વિજય દિવસ ની પૂવૅ સંધ્યાએ પ્રગટાવેલી જ્યોતને આજે પુષ્પો દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. નિવૃત્ત ભારતીય સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે 26 જુલાઇના દિવસને કારગિલ વિજય દિવસ રૂપમાં ઉજવવામાં આવે છે. 1999માં આ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો. આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ-કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાની સેનાને હાંકી કાઢી હતી અને ‘ઓપરેશન વિજય’ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. દેશના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ કોઈપણ દેશના દબાણમાં આવ્યા વગર ભારતીય સેનાને સ્વતંત્ર નિર્ણય લેવા માટે છૂટ આપી દીધી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી જગદીશ ભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર,પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ રમેશભાઈ સિંધવ એપીએમસી ના ચેરમેન સ્નેહલ ભાઈ પટેલ, યુવા મોરચા ના જિલ્લા પ્રમુખ વિવેક પટેલ સહિત નિવૃત્ત ભારતીય આર્મી જવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી