કેબીનેટ મંત્રી સહિતના મહાનુભાવો અને ગ્રામજનો દ્રારા પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી..
પાટણ તા. 8 “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં “માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વમાં લોકો જોડાઈ રહ્યા છે.રવિવારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખળી ગામે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કળશ યાત્રા યોજવામાં આવી હતી. ખળી ગામે યોજવામાં આવેલી કળશ યાત્રામાં કેબિનેટ મંત્રી તેમજ અન્ય મહાનુભાવો ગામલોકોની વચ્ચે કળશ લઈને પહોંચ્યા હતા ત્યાં ગામ લોકોએ પ્રેમથી માટી કળશમાં અર્પણ કરી હતી. કેબિનેટ મંત્રી સાથે અન્ય મહાનુભાવો અને ગામલોકો પણ ડીજેના તાલે કળશ યાત્રામાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ અમૂર્ત કળશ યાત્રા દરમિયાન ગુજરાતના ગામડાઓની માટી એકત્ર કરીને દિલ્હી મુકવામાં આવશે. આ માટી આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગની પહેલ છે. દેશના નાગરિકોએ એકત્ર કરેલ માટીની સુગંધ વિશ્વમાં ફેલાશે. આપણે દિલ્હી જઈશું ત્યારે આપણને પોતીકું લાગશે કારણ કે આપના ગામની માટી પણ અહી છે. કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે આજે એ બાબતનું ગૌરવ છે કે સૌથી વધુ રોજગારી આપનાર કોઈ મોડલ હોય તો એ ગુજરાત મોડલ છે. આજે આયુષ્યમાન કાર્ડ હોય કે ગુજરાતની શાળાઓમાં આધુનિક શિક્ષણ માટે ગુજરાત સરકાર કામ કરી રહી છે.
આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.9 મી ઓગષ્ટથી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામ્યકક્ષાના કાર્યક્રમો ઉપરાંત મહાનુભાવોના હસ્તે શિલાફલકમ સ્થાપિત કરવામાં આવ્યા છે. આજની કળશયાત્રા દરમીયાન ખળી ગામમાં કાર્યક્રમમાં પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી. ત્યારબાદ કળશ યાત્રા દરમિયાન ગામલોકોએ માટી- ચોખા કલશમાં અર્પણ કર્યા હતા.દેશનાં વીર સપૂતોને વીરાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્ય સહ સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ”અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ દેશના અનેક વીરો – મહાપુરુષો કે જેઓએ આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી દેશ માટે શહીદી વહોરી હતી, તેમને શત શત વંદન કરવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.
આ ઉજવણીની પૂર્ણાહુતિને ભવ્યાતિભવ્ય બનાવવા જનભાગીદારી થકી દેશમાં સાર્વત્રિક અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગીરીબેન ઠાકોર,જિલ્લા વિકાસ અધિકાર ડી.એમ.સોલંકી, એપીએમસી.ના ચેરમેન વિષ્ણુભાઇ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઇ નાયક, સંગઠનના હોદ્દેદારો ડો.દશરથજી ઠાકોર,નંદાજી ઠાકોર,ખળી ગામના સરપંચ કાંતિભાઈ ઠાકોર સહિત ગામના આગેવાનો કળશ યાત્રામાં સહભાગી બન્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી