પાટણ તા. 4
જૈનોની તપોભૂમિ પાટણની પાવન ધરા ઉપર ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ ની જૈન શ્રાવકો દ્વારા ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.કહેવાય છે કે આજથી 2420 વર્ષ પહેલા 24 માર્ચ તીર્થંકર મહાવીર ભગવાનનું અવની ઉપર અવતરણ થયું હતું.ચૈત્ર સુદ તેરસના શુભ દિવસે કુંડલપુર નગરમાં રાજા સિદ્ધાર્થ અને મહારાણી ત્રીસલા દેવી ને ત્યાં જ્યોતિ સ્વરૂપે પ્રભુ મહાવીર નો જન્મ થયો હતો.
ત્યારે આજે ચૈત્ર સુદ તેરસ ભગવાન મહાવીર સ્વામી ના 2420 મા જન્મ કલ્યાણ ના પાવન દિવસે શહેરના પીપળા ગેટ વિસ્તારમાં આવેલ પંચાસર દેરાસર ખાતે પાર્શ્વનાથ પ્રભુની અભિષેક પૂજા વિધિ કરવામાં આવી હતી.
ત્યારબાદ આચ્છાદિત ફૂલોથી શણગારેલ બગીમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરી સંગીતની સુરાવલી સાથે પાલખીયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પાલખીયાત્રામાં જૈન સાધુ ભગવંતો તેમજ સાધ્વીજી મહારાજ અને જૈન શ્રાવકો જોડાયા હતા.જે પાલખીયાત્રા સાગરના અપાસર ખાતે સમાપન કરવામાં આવી હતી.
જ્યાં મુનિ ભગવંતો દ્વારા ભગવાનના જન્મ કલ્યાણ નું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.તો પ્રભુજીના જન્મ કલ્યાણ નિમિત્તે પંચાસર દેરાસર ખાતે પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિને ચાંદીના વરખ અને સુશોભિત અલંકારો ની આંગી ના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.આમ જૈનો ની તપો ભૂમિ પાટણ નગર માં ભગવાન મહાવીર પ્રભુના જન્મ કલ્યાણ ની ધર્મમય માહોલ માં ઉજવણી કરવા માં આવી હતી.