પાટણ તા. 2 વિશ્વમાં વધતો જતો વાહનોનો ઉપયોગ, પેટ્રોલ, ડિઝલ, વધતી જતી ફેક્ટ્રીસ વગેરેના કારણે પ્રદુષણમાં ખુબ વધારો થતો જોઈ શકાય છે. દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસાનો ઉપયોગ વધવાથી આ કુદરતી સંશાધનો ધીમે ધીમે ઓછા થતા જાય છે. જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો જ યોગ્ય ગણી શકાય. પેટ્રોલ,ડીઝલ,કારખાનાઓના કારણે જીવન તો સહેલું બન્યું છે પરંતુ તેના વધારે પડતા ઉપયોગના કારણે પર્યાવરણને પણ નુકશાન થઈ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરેનો વપરાશ વધી રહ્યો છે. સરકાર પણ સૌર ઉર્જા વધે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી રહી છે. જેવી કે ઇલેક્ટ્રીક બાઈક યોજના, બેટરી સંચાલિત વાહનો પર સબસીડી, સોલાર ફેન્સીંગ સહાય યોજના, સોલાર રૂકટોપ યોજના વગેરે કાયૅરત કરવામાં આવી છે.
દુનિયામાં જેમ-જેમ ટેકનોલોજીમાં વધારો થઈ રહ્યો છે તેમ-તેમ આ ટેકનોલોજીના સાધનોના કારણે વીજળીનો ઉપયોગ વધી રહ્યો છે. જેથી વીજળીની માંગ દિન-પ્રતિદિન વધી રહી છે. આ વીજળી કોલસો અને કુદરતી સંસાધનોમાંથી બને છે. વીજળીના વધુ વપરાશના કારણે આ કુદરતી સંસાધનો પૂરા થવાની શક્યતા રહેલી છે. જેથી વીજળી, પેટ્રોલ, ડીઝલ ખૂબ મોંઘા થઈ રહ્યા છે. સામાન્ય માણસો માટે ઘર વપરાશ માટે વીજળીના બીલ ચૂકવવા દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. તેથી સરકાર દ્વારા આ સમસ્યાને દુર કરવા માટે સોલાર રૂફટોપ યોજના અમલમાં મુકવામાં આવી છે. આજે સૌર ઉર્જાથી વીજળી પેદા કરીને ઘરેલું વપરાશ થઈ રહ્યો છે. સૌર ઊર્જા સૂર્યમાંથી મળે છે. વિદ્યુત ઉર્જાની સરખામણીમાં સૌર ઉર્જા ઓછી ખર્ચાળ હોવાથી સામાન્ય પરીવારો માટે આ યોજના લાભદાયી છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં 4 હજારથી વધુ પરીવારો હાલમાં સોલાક રૂફટોપનો લાભ લઈ રહ્યા છે. સરકાર તરફથી રૂફટોપ માટે પ્રથમ 3 કિલોવોટની ક્ષમતા સુધી 40 ટકા તથા 3 થી વધુ અને 10 કિલોવોટની ક્ષમતા ક્ષમતા સુધી 20 ટકા સબસીડી આપવામાં આવે છે. સોલાર રૂફટોપ લગાવવાનો ખર્ચ અંદાજે 5 વર્ષમાં વસુલ થયા પછી ઉત્પન થયેલ વધારાની વીજળી બાકીના 20 વર્ષ સુધી મફતમાં મળે છે. સોલાર રૂફટોપ સ્થપાયા બાદ જે તે એજન્સી 5 વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરે છે.આ યોજનામાં વીજ ગ્રાહક એક કિલોવોટ DC કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ બેસાડી શકશે.સબસિડી વધુ વધુ 10 કી.વોની ક્ષમતા સુધી મર્યાદિત રહેશે. GHS/ RWAની કોમન સુવિધાઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા માટેની ક્ષમતા ઘર દીઠ 10 કિલોવોટની મર્યાદામાં વધુમાં વધુ કુલ 500 કિલોવોટ સુધી રહેશે.પૃથ્વી પર રહેલા કુદરતી સંસાધનોની રક્ષા કરવી હોય તો પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો જરૂરી બની રહે છે. તેથી કુદરતી ઊર્જાનું ઉત્પાદન કરવા માટે, સૌર ઉર્જા સ્રોતનો ઉપયોગ કરવો આપણા સૌ માટે હિતાવહ છે.