(સન સ્ટ્રોક) લૂ થી બચવા માટે દિવસ દરમ્યાન વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નારીયેળનું પાણી, ઓ.આર.એસનું દ્રાવણ પીવાની આદત કેળવો..
પાટણ તા. ૪
જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની શક્યતાઓ રહેલી છે. આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે ખાસ કરી ને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશક્ત બીમાર હોય તેવા દર્દીઓ, શ્રમિકો અને ખેતમજુરોને લૂ લાગવાની ઘટના વધુ પ્રમાણમાં બને છે. જે જીવલેણ પણ બની શકે છે. શરીર અને માથાનો દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ત્વચા ગરમ, લાલાશવાળી અને શુષ્ક થઈ જવી, ઉલટી કે ઉબકા થવા કે આવવા, આંખે અંધારા કે ચક્કર આવવા,શ્વાસોશ્વાસ અને હ્રદય ના ધબકારા વધી જવા, અતિ ગંભીર હોય તેવા કિસ્સામાં ખેંચ આવવી, બેભાન થઈ જવું જેવા લક્ષણો લુ લાગવા સમયે થાય છે. તે દરેક નાગરીકે જાણવું જરૂરી છે.
લુ લાગવાથી બચવાના ઉપાયો કરવા આવશ્યક છે. તેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાટણ દ્વારા સાવચેતીના પગલાં સ્વરૂપે કેટલાંક સુચનો કરવામાં આવ્યા છે.જેમા ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, માથા પર ટોપી પહેરવી, આંખો પર ચશ્મા પહેરવા, માથા પર તડકો ના પડે તે રીતે છત્રીનો ઉપયોગ કરવો ભીના સુતરાઉ કપડાથી માથું ઢાંકી રાખવું,જરૂર જણાય તો ભીના કપડાથી શરીરને અવાર નવાર લુછવાની આદત કેળવવી. સૂર્ય પ્રકાશ સીધો આવે તેવો હોય તો તેનાથી બચવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે,ઠંડક અને છાંયા વાળા સ્થળમાં રહેવું,
દિવસ દરમ્યાન વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નારીયેળનું પાણી, ઓ.આર.એસનું દ્રાવણ પીવાની આદત કેળવવી, નાના બાળકો,સગર્ભા માતા,વૃદ્ધઓ અને અશક્ત બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ગરમીના દિવસોમાં બજાર માં મળતા ખુલ્લા વાસી ખોરાક ખાવા નહીં. સામા જિક પ્રસંગો હોય ત્યારે દૂધ માવા માંથી બનાવવામાં આવેલા ખાધપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહ્યા હોય તો ખાવા નહી,ગરમીની ઋતુ માં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું,ચા-કોફી, તમાકુ -સિગારેટ સહિતના ઉત્પાદનોના સેવનથી લુ લાગ વાની શક્યતા વધે છે
તેથી તેનું સેવન ટાળવું, માથાનો દુખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીક ના આયુષમાન આરોગ્ય મંદીર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ બાબતે કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીદ્વારા પણ જરૂરી પગલાં લેવા સારૂ તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર અને આરોગ્ય અધિકારીઓને જરૂરી સુચનાઓ પણ આપવામાં આવેલ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાટણ નાઓએ જણાવ્યુ હતું.
અહેવાલ યશપાલ સ્વામી