સરસ્વતી તાલુકાના વાગડોદ અને મોરપા ગામની ટીમે ખેડૂતો ને માગૅદશૅન આપ્યુ.
પાટણ તા. ૨૬
સરસ્વતી તાલુકા પંથકના વાગડોદ અને મોરપા ગામે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્ષિટીના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એફ. કે. ચૌધરી, પ્રાધ્યાપક અને વડા કીટકશાસ્ત્ર વિભાગ ડૉ. પી.એસ.પટેલે જિલ્લા ના વિવિધ અધિકારીઓની ઉપસ્થિતીમાં પાટણમાં ઘાસચારાના રજકો અને ચીકુડી જેવા પાકોમાં જીવાત ચકાસણી અર્થે ફિલ્ડ વીઝીટ કરવામાં આવી હતી.
વાગડોદ ગામે રાજપૂત ઉદાજી વેલાજી તથા મોરપા ગામે રબારી મોતીભાઈ બબાભાઈના ખેતરે ડાયગ્નો સીસ ટીમે મુલાકાત લેતાં ઘાસચારાના પાકમાં કાતરા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જોવા મળેલ હતો. સ્થાનિક ખેડૂતોને પૂછપરછ કરતાં મોટા ભાગના ખેડૂતો દ્વારા ઘાસચારાના પાકનો પશુઓના ઘાસ માટે ઉપયોગ કરવાનો થતો હોઇ તેઓએ રાસાયણિક દવાઓનો છંટકાવ કરેલ ન હતો.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ પ્રકારની જીવાત અગાઉ દીવેલા અને રાઈ પાકમાં પણ જોવા મળેલ હતી. હાલના સમયમાં લીલા પાકના છોડ ઓછા હોઈ હાલમાં ઘાસચારાના પાકમાં આ જીવાત જોવા મળેલ છે. વધુમાં ખેડૂતોને પશુઓના ઘાસ માટેના જીવાત ઉપદ્રવીત પાકમાં નીમ ઓઇલ (1500 ppm) 70 થી 75 મી.લી પ્રતિ 10 લિટર પ્રમાણે છંટકાવ કરવા તથા ખાસ કરીને બિયારણ માટે રાખવાના થતા ઘાસચારાના પાકમાં ક્લોરપાયરીફોસ+સાયપરમેથ્રીન 15 થી 20 મી.લી 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવા તથા તેનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવા ખેડૂતોને જણાવ્યું હતુ.
રાત્રીના સમયે ખેતરમાં બલ્બ ચાલુ રાખી તેની નીચે ટોકરમાં પાણી ભરી તેમાં કેરોસીન મિશ્ર કરી રાખી મૂકવાથી આ જીવાતના ફુદાઓ આકર્ષિત થતાં તેની સંખ્યા નિયંત્રિત કરી શકાય તથા અન્ય આગોતરા પગલાં લેવા પણ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતુ. વૈજ્ઞાનિકોની મુલાકાત દરમિયાન જિલ્લા ખેતી વાડી અધિકારી ડી.એમ.મેણાત, નાયબ ખેતી નિયામક (વિ) એ.આર.ગામી, તાલીમ સહાયક-વિસ્તરણ શિક્ષણ નિયામક ની કચેરીથી એમ.એ.તુવર, મદદનીશ ખેતી નિયામક (વિ) એમ. એમ. લિંબાચીયા, વિસ્તરણ અધિકારી જીતેન્દ્રસિંહ સોલંકી, વિસ્તરણ અધિકારી,સરસ્વતી એસ.આઈ ચૌહાણ તથા ગ્રામસેવક વાગડોદ -મોરપા ની સંયુક્ત ટીમ ઉપસ્થિત રહી હતી.
અહેવાલ યશપાલ શ્યામી