પાટણ તા. 20
પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સોમવારે પાટણ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ અને શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરના સંયુકત ઉપક્રમે ૨૦મો ત્રિદિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહ નો પ્રારંભ કા. કુલપતિ ડો.રોહિત દેસાઈ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો.પાટણ યુનિવર્સિટીની સ્થાપના બાદ 1997 થી યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહનું આયોજન કરવામાં આવે છે ત્યારે સોમવારે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ત્રિદિવસીય 20 મા અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
જ્યાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી સમારોહને ખુલ્લો મુકયો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હેમપ્રપા પુસ્તકના 10 મા વોલ્યુમનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંસ્કૃત તજજ્ઞ પ્રોફેસર લલીતકુમાર પટેલે તપસ્વી નાંદી અને મણીભાઇ પ્રજાપતિની સંસ્કૃત વ્યાખ્યાનમાળાઓ વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષામાં વિશેષ માર્ગદર્શન આપ્યુ હતું. ત્યારબાદ સંસ્કૃત વિભાગમાં પ્રથમ અને બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર આઠ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ફિલોશીપ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મહર્ષિ સાંદિપની, ઉજ્જૈનના તજજ્ઞ વિરુપાક્ષ, જડ્ડીપાલ, સહિત સંસ્કૃત વિભાગના વિવિધ પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.