પાટણ તા. 2
પાટણ મા ચોમાસાની શરૂઆત થતા જ અનેક પ્રકારની જીવાતો નો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાંખોવાળી ઊડતી જીવાતોનું પ્રમાણ વધુ રહેતું હોય છે, જે અજવાળા તરફ વધુ આકર્ષતી હોય છે. જોકે, પાટણ શહેરના મોતીસા દરવાજા બહાર આવેલા સાંઈબાબા મંદિર રોડ પરની પાર્થ એક્ઝોટિકા સોસાયટીમાં તેમજ રોડ પર અલગ પ્રકારની નાની ચુડવેલ નામની જીવાતોના ઝૂંડે ઝુંડ ઉતરી પડતા સોસાયટીના રહીશો તેમજ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હોવાનું જાણવા મળ્યું છે. અહીંની સોસાયટીના રહીશોએ આ અંગે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી તેમની સોસાયટીના રહીશો અલગ પ્રકારની જમીન માં નીચે ફરતી તેમજ દિવાલો પર ચઢતી જીવાતોથી ત્રાહિમામ બન્યા છે.આ જીવાતો અસંખ્ય પ્રમાણમાં રોડ ઉપર પણ ફરી રહી છે. તેમજ લોકોના મકાનોમાં, ઓસરીઓમાં અને ઘરોમાં પણ તેનો ઉપદ્રવ વધવા પામ્યો છે. જેના કારણે લોકોમાં કચવાટની લાગણી પ્રસરી છે.તો સોસાયટીની બહાર મુખ્ય રોડ ઉપર પણ આ નાની જીવાત ના ઝુંડ અને ટોળાબંધ જોવા મળી રહ્યા છે અને કમનસીબે વાહનોના પૈડા નીચે આવીને અનેક જીવો મરી પણ રહ્યા છે . આ બાબતે પાટણ નગર પાલિકા તંત્ર, ખેતીવાડી વિભાગ કે આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરીને આ જીવાતો ના ઉપદ્રવને નિયંત્રિત કરવા તાત્કાલિક અસરકારક પગલાં ભરાય તેવી આ વિસ્તારના રહીશોએ લાગણી સાથે માગણી વ્યકત કરી છે.
અહેવાલ યશપાલ સ્વામી