વર્કશોપ માં તરૂણોએ મજુરી છોડીને જીવનમાં ભણતરનો રસ્તો અપનાવી આગળ વધવા માટે માર્ગદર્શન મેળવ્યું…
પાટણ તા. 26 જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સરકારી શ્રમ અધિકારીની કચેરી પાટણ દ્વારા બાળ મજુરી માંથી મળી આવેલ તરૂણો માટે ગુજરાત રાજ્ય માં સૌ પ્રથમ વખત પાટણ ખાતે કૌશલ્ય વિકાસ તથા રોજગારલક્ષી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ વર્કશોપમાં છેલ્લા બે વર્ષમાં બાળ મજુરી કરતાં 15 થી 19 વર્ષના તરૂણો તેમજ તેઓના વાલીઓને મજુરી છોડીને ભણતર મેળવીને રોજગાર કઈ રીતે મળી શકે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. સમગ્ર રાજ્યમાં આ પ્રથમ એવો કાર્યક્રમ છે કે જ્યાં બાળ મજુરી માંથી મુક્ત કરાવેલ તરૂણો માટે કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હોય જેમા જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સરકારી શ્રમ અધિકારીની કચેરી પાટણ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ વર્કશોપ માં ITI, જિલ્લા રોજગાર કચેરી, તેમજ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા નાં અધિકારીઓ દ્વારા તરૂણો અને તેઓના વાલીઓને તેઓની સંસ્થા દ્વારા કઈ-કઈ તાલીમ આપવામાં આવે છે, તાલીમ દ્વારા કયા ક્ષેત્રમાં રોજગારી મેળવી શકાય છે, તાલીમનો સમયગાળો વગેરે વિશે વિસ્તૃતમાહિતી આપવામાં આવી હતી. આ વકૅ શોપમા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ દ્વારા તરૂણોએ પોતાના જીવનમાં કૌશલ્ય વિકાસ પર ભાર મુકવો જોઈએ તે વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. વર્કશોપમાં યુનિસેફ સ્ટેટ કન્સલટન્ટ બિનલ પટેલ, જિલ્લા સરકારી શ્રમ અધિકારી મનસ્વીબેન કથીરીયા, જિલ્લા રોજગાર અધિકારી એચ.એચ.ગઢવી, ITI પાટણના આચાર્ય પી.સી.પટેલ, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણના ફેકલ્ટી મુકેશભાઈ ઠાકોર, તેમજ બહોળી સંખ્યામાં તરૂણો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી