આભૂષણોની યજમાન હરેશભાઈ આચાર્યના નિવાસ સ્થાને વિશેષ પૂજા વિધી કરવામાં આવી.
પાટણ તા. 28 પાટણ થી છ કિલોમીટરના અંતરે આવેલ પાલડીનાં પ્રાચીન જાળેશ્વર દાદાના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહમણ સમાજના પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈવેશ યોજવામાં આવે છે. ત્યારે બે દિવસીય ભવાઈ વેશના પ્રારંભ પૂર્વે ગુરૂવારે ભાદરવા સુદ ચૌદસના પાવન દિવસે સમાજના લોકોએ જાળેશ્વર દાદાના આભૂષણોની યજમાન હરેશભાઈ આચાર્યના નિવાસસ્થાને વિશેષ પૂજાવિધી કરી હતી. ત્યારબાદ દાદાના આભૂષણોના પટારાને વાજતે ગાજતે બદલાતા સમયની સાથે ટ્રેકટરમાં મુકી તેની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રા પાલડી મુકામે જવા પ્રસ્થાન કર્યુ હતું. છેલ્લા ઘણા વર્ષથી પાટણ શહેરમાં વસતા તળ ઔદિચ્ય બ્રાહમણ સમાજના 45 પરીવારો પોતાના સ્વખર્ચે ભાદરવા સુદ ચૌદસથી બેદિવસીય ભવાઈ વેશના વિવિધ પાત્રો ભજવે છે .
જે અનુસંધાને ગુરૂવારે જાળેશ્વર દાદાના આભૂષણો મામલતદાર કચેરી ખાતેથી લાવી મહારાજ હરેશભાઈ આચાર્યના નિવાસસ્થાને તેની વિશેષ પૂજાવિધી કરાઈ હતી.ત્યારબાદ વાજતે ગાજતે શણગારેલ ટ્રેકટરમાં આભૂષણનો પટારો મુકી જુનાગંજ ચોક ખાતે લાવવામાં આવ્યો હતો. જયાં સમાજના ભવાઈ વેશ કરતા યુવાનોએ તલવારબાજી તેમજ અન્ય ભવાઈવેશની ઝાંખી કરાવી શોભાયાત્રાને પાલડી મુકામે વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
આ શોભાયાત્રા શહેરના જુનાગંજ બજાર થઈ બગવાડા દરવાજા, રાજમહેલ રોડ થઈ પાલડી મુકામે જાળેશ્વર મહાદેવ મંદિરના પરીસર ખાતે પહોંચી હતી. તો આ ભવાઈ વેશ અંગે પુજારી હરેશભાઈએ જણાવ્યું હતું કે આજે રાત્રીના સમયે જાળેશ્વર દાદાના સાનીધ્યમાં મંગલદીપ પ્રગટાવી ભવાઈવેશનો પ્રારંભ કરવામાં આવશે. ભવાઈ એટલે ભગવાન આસુતોષને ભાવથી પ્રગટ કરવાની ભકિત તેવો ભાવ સમાજના લોકો માને છે. આ બે દિવસીય ભવાઈ વેશમાં સૌ પ્રથમ ગણપતિ, કાબો, ગોરખજોગણી, મીયાબીબી, ઝંડોઝુલણ, કાળકા, ભોયભોયણ, જુઠ્ઠણ જેવા ભવાઈવેશ સંગીતના તાલે રજુ કરવામાં આવે છે. પાટણનાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહમણ સમાજના પરીવારોએ સેંકડો વર્ષ જુની વડવાઓની પરંપરાને આજે પણ અકબંધ જાળવી રાખી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી