પાટણની ધમૅપ્રેમી જનતાને ભગવાન શ્રી કાર્તિક સ્વામીના દર્શન-પ્રસાદ નો લાભ લેવા આમંત્રણ…
પાટણ તા. ૨૬
આગામી કારતક સુદ-૧૫ ને સોમવાર તા.૨૭ મી નારોજ વષૅમાં ફક્ત એક જ વખત જેના દશૅન પ્રસાદ નો ભાવિક ભક્તો ને સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી એક જ વખત લાભ મળે છે તેવા શહેરના શ્રી છત્રપતેશ્વર મહાદેવ સંકુલમાં બિરાજમાન ભગવાન શ્રી કાર્તિક સ્વામીજીના દર્શન લોક કલ્યાણાર્થે ખુલ્લા મુકવામાં આવનાર છે ત્યારે ભગવાન શ્રી કાર્તિક સ્વામીના કાર્તિકી પૂનમના પવિત્ર દિવસે દર્શન પ્રસાદનો લાભ લેવા પાટણની ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી છત્રપતેશ્વર મહાદેવજીનું મંદિર, દામાજીરાવ બગીચામાં આવેલું છે, આ મંદિર સંકુલમાં ભગવાન શ્રી કાર્તિક સ્વામીજીનું મંદિર છે, આ મંદિરમાં બિરાજતાં ભગવાન શ્રી કાર્તિક સ્વામીજીના દર્શન વર્ષમાં એકજ દિવસ એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ જ ખૂલ્લા રાખવામાં આવે છે.આ દિવસે મંદિરમાં ભગવાનની ભવ્ય આંગી- શણગાર કરવા માં આવશે. મંદિર સંકુલમાં ભગવાનશ્રી કાર્તિક સ્વામીજીનો સ્કંદયાગ (યજ્ઞ-હવન) કરવામાં આવશે. આ યજ્ઞના યજમાન તરીકે પાટણમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા અને શહેરની જાણીતી લક્ષ્મી બેકરી ના માલિક તેમજ જાગૃત નગરસેવક એવા ગોપાલસિહ ગંગાસિહ રાજપૂત પરિવારે લ્હાવો લીધો છે.
આ યજ્ઞની શાસ્ત્રોકત વિધિ પાટણના જાણીતા વેદપાઠી ડૉ. અમિતભાઇ ઓઝા તથા તેમની સાથે વિદ્વાન ભૂદેવો દ્રારા કરવામાં આવશે.ભગવાન શ્રી કાર્તિક સ્વામીના મંદિર પરિસર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભગવાન શ્રી કાર્તિક સ્વામીના મંદિર દ્રાર સવારે ૭-૦૨ કલાકે, ભવ્ય સ્કંદ યાગ (યજ્ઞ) પ્રારંભ સવારે ૯-૦૦ કલાકે યજ્ઞ પૂર્ણાહૂતી બપોરે ૪-૦૦ કલાકે, ભગવાન શ્રી કાર્તિક સ્વામીના દર્શન સાંજે ૬-૦૦ કલાકે બંધ થશે.ભગવાન કાર્તિક સ્વામીજી તે દેવોના સેનાપતિ કહેવાય છે, કાર્તિકી પૂનમે તેમનાં દર્શન કરવાથી બારે માસ રોગો-શત્રુઓ સામે રક્ષણ મળે છે.
સામાન્ય સંજોગોમાં સ્ત્રીઓ કાર્તિક સ્વામીજીના દર્શન કરી શકતી નથી પણ આ દિવસે કોઇપણ સ્ત્રી પણ ભગવાન કાર્તિક સ્વામીના દર્શન કરી શકે છે. સ્ત્રીઓ દર્શન કરે તો સૌભાગ્યવતી સ્ત્રીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વિધવાને અખંડ ભક્તિ પ્રાપ્ત થાય છે. શ્રી કાર્તિક સ્વામીજીનું એક સ્ત્રોત છે તેને પ્રજ્ઞાવર્ધન સ્ત્રોત કહે છે. જેનાથી વિદ્યા-બુધ્ધિમાં વધારો થાય છે. આ દિવસે દર્શન કરવાથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાદાન પ્રાપ્ત થાય છે. વેપારીઓને બારે માસ લક્ષ્મીજીની કૃપા રહે છે. ટૂંકમાં અબાલ-વૃધ્ધ જે કોઇ દર્શન કરશે તેમને સુખ-સંપત્તિ ઐશ્વર્ય અને લક્ષ્મીની પ્રાપ્તી થશે.
તો આવા મોઘેરાં દિવસે પાટણના સૌ ભકતજનોને ભગવાનશ્રી કાર્તિક સ્વામીજીના દર્શન પ્રસાદ નો લાભ લેવા યજ્ઞના યજમાન ગોપાલસિંહ રાજપૂત પરિવાર દ્રારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.હાલમાં ભગવાનની નવી પ્રતિમા તથા સવારીનું નિર્માણ કાર્ય ચાલુ હોય ધમૅ પ્રેમી જનતાને આ શુભ કાયૅમાં ઉદાર હાથે ફાળો આપવા પણ તેઓએ અપીલ કરી છે.
અહેવાલ યશપાલ સ્વામી