આંગણવાડી ના ભૂલકાઓ સહિત વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત..
પાલિકા દ્રારા તાત્કાલિક સમસ્યા નું નિરાકરણ નહિ લાવવામાં આવે તો પાલિકાનો ધેરાવો કરવાની ચિમકી…
પાટણ તા. ૧૦
પાટણ શહેરના શ્રમજીવી વિસ્તારમા ભવાની મસાલા પાસેની આંગણવાડી માં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સજૉવા પામ્યું છે. આ ગંદકીના કારણે અહીં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા આંગણવાડી મા આવતાં બાળકો સહિત સ્ટાફ પરિવાર સાથે વિસ્તારના લોકોમાં મચ્છરજન્ય રોગો ચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ માથું ઊંચક્યું છે ત્યારે આવા સ્લમ વિસ્તારો માં ગંદકીના કારણે તેમજ ભેજ વાળા વાતાવરણને લઈ આવા વાયરસનો ફેલાવો થવાની સંભાવના પણ વિસ્તારના લોકો સેવી રહ્યા છે.
આ સમસ્યા મામલે રહીશો દ્રારા પાલિકા સતાધીશો ને અનેક વખત રજુઆત કરવા છતાં તેનું યોગ્ય નિરાકરણ નહિ લવાતા ત્રસ્ત બનેલ રહીશો એ પોતાની સમસ્યા ના નિરાકરણ માટે શહેર કોગ્રેસ પ્રમુખ નું ધ્યાન દોરતાં તેઓએ રૂબરૂ સ્થળ તપાસ કરી વિસ્તારના લોકો ની સમસ્યા સત્વરે દુર કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવા અને વિસ્તાર ની ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાના નિરાકરણ ની માગ કરી જો સમસ્યા નું નિરાકરણ નહી આવે તો વિસ્તારના રહીશો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માગૅ પર પાલિકા નો ધેરાવો કરાશે તેવી ચિમકી આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી