પાણીની ટાંકી અને પાઇપ લાઇન સાફ કરીને લોકોને સત્વરે પાણી મળશે: મંત્રી
પાટણ તા. 17
સિદ્ધપુરમાં દૂષિત પાણીની બનેલી ઘટનાનાં અનુસંધાને કેબિનેટ મંત્રી બ લવંતસિંહ રાજપૂત બુધવારે મોડી સાજે સિદ્ધપુર પહોંચ્યા હતાં અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મંત્રીએ ઝડપથી ટાંકી અને પાઇપલાઇન સાફ કરીને સત્વરે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સંલગ્ન અધિકારીઓને સુચન કર્યું હતુ.ત્યારબાદ મંત્રીએ પાણીની ટાંકી પર જઇને ત્યાં ચાલી રહેલી પાણીની ટાંકીની સફાઇની કામગીરીની જાત ચકાસણી કરી હતી.
સિદ્ધપુરમાં દૂષિત પાણીની જે ઘટના બની તે અનુસંધાને કેબિનેટ મંત્રી ઘટનાની ગંભીરતા જોઇ સિદ્ધપુર પહોંચી આવ્યાં હતાં. સિદ્ધપુર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાનાં ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરીને લોકોના આરોગ્યને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે માટે કામગીરી કરવા સુચન કર્યું હતુ. ઝડપથી ટાંકી અને પાઇપલાઇન સાફ કર્યા બાદ ફરીથી પાણીની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવામા આવશે તેવુ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ.
જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું હતુ કે, લોકોને કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના તંત્ર પર વિશ્વાસ રાખવો જોઈએ. જિલ્લા વહીવટીતંત્ર હાલમાં આ બાબતે પુરજોશમાં પાણીની ટાંકીની સફાઇ અને પાઇપ લાઇન ની સફાઇનું કામ કરી રહ્યુ છે. સાફ સફાઇ બાદ ફરીથી પાણીની ચકાસણી કરીને પાણી પુરવઠો લોકોને આપવા માં આવશે.આ કામગીરી આગામી 48 કલાકમાં પુરી થાય તે માટે તંત્ર યુદ્ધનાં ધોરણે કામે લાગ્યું છે અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી પાણીની ટાંકી તેમજ પાઇપલાઇનની સફાઇ કામગીરી ચાલી રહી છે.
આ બેઠકમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, જીલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, ઈ. ચા. ડી.એસ.પી. વિશાખા ડબરાલ, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપ સિંહ રાઠોડ, સિદ્ધપુર નગર પાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય તેમજ સિદ્ધપુર નગરપાલિકા નાં નગરસેવકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.