સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાન્ત દ્રારા 20 મે થી 30 મે દરમિયાન પ્રબોધ વગૅ અને સંસ્કૃત બાલકેન્દ્ર પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું..
પાટણ તા. 21
સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાન્ત દ્વારા તા.20 મે થી 30 મે 2023 દરમિયાન પ્રબોધન વર્ગ અને સંસ્કૃત બાલકેન્દ્ર પ્રશિક્ષણ વર્ગ આણંદ જીલ્લાના ધર્મજ મુકામે યોજાઈ રહ્યો છે. સમાજના પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કરતા ધર્મજના સામાજિક અગ્રણી રાજેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે સંસ્કૃત એ તો સંસ્કૃતિ સાથે જોડનારી ભાષા છે, ધર્મ પરિવર્તનની વૈશ્વિક સમસ્યાથી આવનારી પેઢીને બચાવવા માટે સંસ્કૃતનું જ્ઞાન આપવું એ વર્તમાન સમયની તાતી જરૂરીયાત છે.
ગોવાથી પધારેલ પશ્ચિમ ક્ષેત્રના સંયોજક ચિન્મય આમોખરે પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં ઉદાહરણો દ્વારા પોતાની વાત સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે બાળકોને સંસ્કારિત કરતા પહેલા આપણે સંસ્કારિત થવું પડશે. બાળકો આપણા આચાર અને વ્યવહારથી જ સંસ્કારિત થાય છે.
જ્યારે શિબિરાર્થીઓને આશિર્વચન આપવા પધારેલ શ્રી માધવાનંદ આશ્રમ, કંથારિયાના પીઠાધીશ્વર સ્વામી હરિહરાનંદ સાગરજી મહારાજે વર્તમાન સ્થિતિ અંગે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે આપણી સંસ્કૃત ભાષા આપણા માટે જ અજાણી બની ગઈ છે. સંસ્કૃત ભારતની લોકભાષા હતી જેને પુનઃ પ્રતિષ્ઠિત કરવાનું ભાગીરથ કાર્ય સંસ્કૃત ભારતી કરી રહી છે. સંસ્કૃત એ તો વિશ્વની એક માત્ર દેવનિર્મિત ભાષા છે. ગુજરાતીની જેમ જ આપણા બાળકો સંસ્કૃતમાં બોલતા થાય એ માટે સંસ્કૃત શીખીને બીજાને પ્રેરિત કરવા જોઈએ. આ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્કૃત ભારતીના પ્રાન્ત સહમંત્રી નંદકિશોર મહેતા અને આભારદર્શન વર્ગાધિકારી ડૉ.મહેશભાઈ પટેલે કર્યું હતું.