રાણકીવાવ ની કલાકૃતિ અને પટોળાની વણાટ કામગીરી નિહાળી સાંસદ અભિભૂત બન્યા..
પાટણ તા. 10
સત્યપાલ સિંઘ 2014 માં મોદી સરકારમા ચુંટાઈ ને માનવ વિકાસ સંસાધન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કાર્યરત હતાં અને હાલમા પણ તેઓ બાગપત ઉત્તર પ્રદેશના સાસંદ તરીકે ચુંટાયેલ છે. તદઉપરાંત તેઓ મહારાષ્ટ્ર કેડરના 1980 ની બેચના આઈ.પી.એસ અધિકારી તરીકે સેવા આપી ચુક્યા છે. તેઓએ મુંબઈ તેમજ પુણે પોલિસ કમિશ્નર તરીકે નોંધપાત્ર સેવાઓ આપી છે.
શુક્રવારે સાંજે તેઓ ઉત્તર ગુજરાતની મુલાકાતે હતાં અને પાલનપુર ની બનાસ ડેરીની મુલાકાત લઈને ગુજકો માસોલના ચુંટાયેલ ડાયરેક્ટર સ્નેહલ પટેલ સાથે ઐતિહાસીક શહેર પાટણની મુલાકાતે આવ્યા હતાં. પાલનપુર, વડગામ ના પ્રવાસ બાદ તેઓ સીધા વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં પ્રોટોકોલ અધિકારી તરીકે સીટી મામલતદાર ડી. ડી. પરમાર દ્રારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાણકીવાવ ખાતે તેઓએ તમામ શિલ્પો, કોતરણી વાળા સ્તંભો, અપ્સરાઓ અને તમામ કાર્યનું બારીકાઈથી નિરિક્ષણ તેમજ અધ્યયન કર્યું હતું. વાવ અને પાટણના રસપ્રદ ઈતિહાસની ઝીણવટ પૂવૅકની વિગતો વિષે સાંસદ સત્યપાલ સિંઘને ડૉ.આશુતોષ પાઠકે પુરી પાડી હતી.
પાટણના ઈતિહાસ થી પ્રેરાઈને વધુ જાણકારી તેમજ માહિતી મેળવવા તેઓ પાટણ મ્યુઝીયમ ની મુલાકાતે ગયા હતા જ્યા સંગ્રહાલય અધિકારી મહેન્દ્ર સુરેલા એ તેઓને ખાસ વડનગર ના તાના રીરી બહેનોની વાત અને તેના ડૉરિયમની માહીતી આપી હતી. ડૉ. પાઠકની માહિતીથી વાકેફ થઈને અને સ્નેહલભાઈ પટેલના ખાસ આગ્રહ થી તેઓ પાટણ નગરદેવી કાલિકામાતાના દર્શનાર્થે ગયા હતા અને સંધ્યા આરતીનો લાભ મેળવીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.મંદિર ખાતે પુજારીજી અશોકભાઈ વ્યાસ સાથે તેઓએ ઐતિહાસીક અને આર્થિક બાબતોની ચર્ચા કરી હતી.
ત્યારબાદ તેઓ પાટણના મશહૂર વિશ્વ વિખ્યાત પટોળા વણાટ જોવા સાલવી પરિવારના મેહુલભાઈ સાલવીના કાર્યશાળાની મુલાકાત લઈને પટોળાની બારીકાઈ, વણાટ મા તાણા વાણા, ટાય અને ડાય, તેમજ કેવી રીતે ભાત ચિત્રો રેશમના દોરા પર વિકસાવવામાં આવે છે તેના વિષે પણ માહિતી પ્રાપ્ત કરી હતી.સાંસદ સત્યપાલ સિંઘ પાટણની ઐતિહાસીક ધરોહર અને પ્રણાલિકા ઓથી પ્રભાવિત થયા હતાં.
અહેવાલ યશપાલ સ્વામી