પાટણ તા. 28 વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન સિદ્ઘપુરની શ્રી અભિનવ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો દર માસના અંતે જે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ આવે એમનો ‘જન્મોત્સવ’ યજ્ઞ કરીને ભારતીય પદ્ઘતિથી ઉજવવામાં છે. ગતરોજ 15 જેટલાં વિદ્યાર્થીઓએ દીપ પ્રાગટ્ય કરીને યજ્ઞ પ્રગટાવીને 11 વખત ગાયત્રી મંત્ર કરીને ઓમ રાષ્ટ્રીય સ્વાહાની આહુતિ આપી હતી. આ કાર્યક્રમમાં ભારત માતા પૂજન અને આરતી સાથે તમામ વિદ્યાર્થીઓએ શુભેચ્છા ગીત દ્વારા જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વડીલોના આશીર્વાદ લઈ સત્ય બોલવું, માતા-પિતા અને ગુરુને નિયમિત વંદન કરવા, રાષ્ટ્ર માટે સેવા કાર્યમાં જોડાવવા વગેરે જેવા સંકલ્પો લીધા હતા. આ કાર્યક્રમમાં શેઠ એમ. પી.હાઈસ્કૂલના મંત્રી તથા ભાજપા સિદ્ઘપુર શહેર પ્રમુખ જયેશભાઈ પંડ્યા મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પર્યાવરણનું જતન કરવા, સ્વચ્છતા જાળવવા તથા આ સંસ્કારની સુગંધ સમાજમાં પ્રસરાવવાના આશીર્વચન પાઠવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. રુપેશભાઈ ભાટિયાએ કહ્યું કે, વર્તમાન સમયમાં પશ્ચિમી સંસ્કૃતિને રોકવા સમાજમાં ભારતીય સંસ્કૃતિનું જતન તથા સંવર્ધન થાય તે માટે આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાલયમાં નિયમિત કરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓએ લીધેલા સંકલ્પો પૂર્ણ કરવા માટે પ્રભુ શક્તિ આપે એવા શુભાશિષ પાઠવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાલયની વિદ્યાર્થિની આશા પટેલે કર્યું હતું તેમજ કાર્યક્રમની પૂર્વ તૈયારી વિદ્યાલયના દીદી શીતલબેન જોશી અને વર્ષાબેન પટેલ તથા વિદ્યાર્થીનીઓએ સાથે મળી ને કરી હતી. જન્મ દિનવાળા વિદ્યાર્થીઓને અભિનવ વિદ્યાલય પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી