મામેરાના યજમાન પરિવાર દ્વારા ભગવાનના મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ..
પાટણ તા. ૫
પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન જગન્નાથ જી ની ૧૪૨ મી રથયાત્રા પૂર્વે ભગવાનના મામેરા નો ચાલું સાલે લ્હાવો મેળવનાર બડવાવાડાના રહીશ સ્વર્ગસ્થ શિવશંકર હિંમતલાલ નાયક પરિવારના અતુલકુમાર શિવશંકર નાયક અને કૃપાલીબેન અતુલકુમાર નાયક પરિવાર દ્વારા ભગવાનનું મામેરુ યાદગાર બની રહે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
મામેરાના યજમાન પરિવાર અતુલભાઇ તેમજ તેમના ધર્મપત્ની કૃપાલીબેને ભગવાનના મામેરામાં મૂકવામાં આવનાર ચીજ વસ્તુઓની માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની કૃપાથી ચાલુ સાલે અમને ભગવાનનું મામેરુ ભરવા નો લ્હાવો પ્રાપ્ત થયો છે તેને લઈને અમારા પરિવાર સહિત અમારા મહોલ્લા ના તમામ રહીશો ધન્યતા અનુભવી રહ્યા છે.
ભગવાન ના મામેરા મા રૂ.૧,૮૨,૧૧૧ રોકડ, ૧ કિલો ગ્રામ ચાંદી, ૧ સોનાની ચુક, ૫ હીરાજડિત મૂગટ, ૫ મોતીના હાર, ૫ જોડીવાધા, ૩ મખમલની ગાદી,૧ પિછવાઈ,૩ જોડ મોજડી, ૧ જોડ પાયલ, બાજુ બંધ, કંદોરો, ૩ પિતાંબર, ટુવાલ, સાફી, ભગવાનના વસ્ત્રો, અલંકારો,કોસ્મેટીક વસ્તુ, સ્પ્રે,મીઠાઈ, ફળ, સૂકો મેવો, તેજાના મસાલા, મુખવાસ,પૂજારી તથા ગોરાણી ના કપડા, ભગવાનના શયન વસ્ત્ર,ભગવાન પરશુરામ અને મહાદેવજી ના વસ્ત્ર શણગાર સાથે ભગવાનનું અંદાજીત રૂ. ૫ લાખથી વધુ ના ખચૅ સાથે ભવ્યાતિ ભવ્ય મામેરૂ ભરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ભગવાન જગન્નાથજી ની ૧૪૨ મી રથયાત્રાને અનુલક્ષી ભરવામાં આવનાર મામેરા પ્રસંગમાં પાટણના તમામ ધર્મ પ્રેમી નગરજનોને પધારવા યજમાન પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી